વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલનો જન સંપર્ક કાર્યક્રમ અનગઢ ગામ ખાતે યોજાયો હતો. સમગ્ર દેશમાં ઉમેદવારો પ્રચાર અર્થે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા પણ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અનગઢ ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા લોક સંપર્ક કરવામાં આવ્યો હતો.
ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ત્યારે 2-3 કિલોમીટર ચાલી ગામની મહિલાઓ પીવાના પાણી ભરવા જતી હોય છે, ત્યારે મહિલાઓને પડતી આ વિકટ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. તો બીજી તરફ, અનગઢ ગામના પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલ દ્વારા “જય ભવાની, ભાજપ જવાની”ના સૂત્રને સાર્થક કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.