વડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી દિવ્યાંગ મહિલા કોર્પોરેશન પહોંચી
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે
સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા પરિવારને સર્વે કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે. જે અંગે આજે એક મહિલાએ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારનો સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ કાર્ડ આપવામાં આવે છે જેમાં તેઓને અનાજ તેમજ અન્ય સહાય પણ મળતી હોય છે. આ અંગે એક દિવ્યાંગ મહિલા આયશાબેન સલાટવાડા સ્થિત યુસીડીની ઓફિસ ખાતે ગયા હતા. જ્યાં તેઓને યોગ્ય જવાબ નહીં મળતા નર્મદા ભવન ખાતેની સમાજ કલ્યાણ વિભાગની કચેરી અને કોઠી કચેરી ખાતે પણ ગયા હતા.
પરંતુ સરકારી વિભાગોમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો. આજે બપોરે આયશાબેન કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા હતા અને દિવ્યાંગ હોવાથી તેઓ દાદર ચઢી શક્ય ન હતા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ નીચે આવીને તેઓને સાંભળ્યા હતા અને તેઓની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપી હતી.