/connect-gujarat/media/post_banners/5fbeffce135bff77f567e7a7ff991c553c04b6b25a700f7b2362211ff8d1fcfa.jpg)
વડોદરાના ધારાસભ્ય અને મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સતત બીજા રવિવારે કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. તેમણે આરટીએસના હુકમો અરજદારોને આપવા માટે એક સપ્તાહની મહેતલ આપી હતી અને તે મહેતલ રવિવારના દિવસે પુરી થઇ હતી.
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સતત બીજા રવિવારે વડોદરા કલેકટર કચેરીની મુલાકાતે પહોંચ્યાં હતાં. તેમની મુલાકાતના પગલે કલેકટર સહિતના અધિકારીઓ રવિવાર રજાના દિવસે પણ કચેરીમાં હાજર જોવા મળ્યાં હતાં. ગત રવિવારે જન આર્શીવાદ યાત્રા બાદ રાજેન્દ્ર ત્રિવેદી અચાનક કલેકટર કચેરીએ પહોંચી ગયાં હતાં અને આરટીએસના ઓર્ડરો અંગે માહિતી મેળવી હતી. જે અરજદારોની સુનાવણી થઇ ગઇ હોવા છતાં તેમને ઓર્ડર નહિ આપવામાં આવ્યાં હોવાનું મંત્રીના ધ્યાને આવ્યું હતું. અધિકારીઓએ મંત્રી પાસે સાત દિવસની મહેતલ માંગી હતી. આ મહેતલ પુર્ણ થતાં આજે ફરીથી તેઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. તેમની તથા કલેકટરની હાજરીમાં અરજદારોને આરટીએસના ઓર્ડરનું વિતરણ કરાયું હતું. વડોદરાની વાત કરવામાં આવે તો જમીન નોંધોને લગતાં અને સુનાવણી માટે અપીલ થયેલા 224 કેસ હજુ પણ પેન્ડિંગ છે ત્યારે મંત્રીએ એક મહિનામાં 100 કેસની સુનવણી કરવા આદેશ કર્યો છે. વધુમાં તેમણે સુનાવણીના ત્રણ થી ચાર દિવસમાં ચુકાદો આપી દેવા સુચના આપી છે.