/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/43a68dfa03a94ffbda0f2bab90bc6b63.jpg)
અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીની વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી છે. તેમના સ્થાને ગીર ફાઉન્ડેશનના પર્યાવરણ ઇજનેર આર.આર. વ્યાસને અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી બનાવવામાં આવ્યાં છે.
અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો એનજીટીના આદેશ બાદ કફોડી હાલતમાંથી પસાર થઇ રહયાં છે. દંડની માતબર રકમ, અકસ્માતના સમયે થતી હેરાનગતિ સહિતની બાબતે ઉદ્યોગકારો જીપીસીબીમાં અનેકવાર રજૂઆત કરી ચુકયાં છે. જીપીસીબીના મેમ્બર સેક્રેટરી નરેશ તાભાણીએ પણ અંકલેશ્વર ખાતે આવી ઉદ્યોગકારોની રજૂઆત સાંભળી હતી. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા માટે ગયાં હતાં જયાં મુખ્યમંત્રી હાજર નહી હોવાથી સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની મધ્યસ્થતામાં જીપીસીબીના અધિકારીઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી.
દરમિયાન રાજય સરકારે જીપીસીબીના છ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. જેમાં અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીની વડોદરા જીપીસીબીમાં બદલી કરી દેવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યાએ ગીર ફાઉન્ડેશનના પર્યાવરણ ઇજનેર આર.આર.વ્યાસની નિમણુંક કરાઇ છે. આ ઉપરાંત વડી કચેરીમાં અંકલેશ્વરનું યુનિટ સંભાળતા વાય.ડી. સુથારની પણ બદલી કરાઇ છે. તેમનો હવાલો વડોદરાના મીનાક્ષી સોલંકીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર અને કચ્છના જીપીસીબીના પ્રાદેશિક અધિકારીઓની બદલીના હુકમ પણ રાજય સરકારે કર્યા છે.