ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. ત્યારે ગ્રામજનોનું ઘરની બહાર નીકળવું ઘણું જ મુશ્કેલ બન્યું છે. ઉપરાંત લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ ફેલાઈ રહી છે.
અવિધા ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઇ નિકાલ કરવામાં ન આવતાં સ્થાનિક મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારે હલ્લો મચાવ્યો હતો. આજદિન સુધી વરસાદી પાણીનો કોઇ નિકાલ થતો ન હોવાથી એસબીઆઇ બેન્ક, ગ્રામ પંચાયત, આંગણવાડી, સીટી સર્વે ઓફિસ તેમજ પટેલ ફળીયા સહિત સરકારી દવાખાના નજીક 2થી 3 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું છે. ઉપરાંત કોરોના દર્દીઓને જ્યાં સારવાર આપવામાં આવે છે તેવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે કોરોના જેવી બીમારી વધુ પ્રમાણ વકરે તેવી લોકોમાં દહેશત ફેલાઈ છે. જોકે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતા પાણીનો કોઈ નિકાલ ન થતા સ્થાનિક મહીલાઓએ અવીધા ગ્રામ પંચાયત કચેરીને માથે લીધી હતી. જેમાં મહિલાઓએ હલ્લો મચાવી આગામી 5 દિવસમાં આખેઆખા ગામમાંથી પાણિનો નિકાલ કરવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી.