કેન્દ્રએ રાજ્ય કર્મચારી વીમા (ESI)સ્કિમમાં ફાળાનો દર 6.5%થી ઘટાડી 4% કરવાનો કર્યો નિર્ણય
મોદી સરકારે ગુરુવારે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રએ રાજ્ય કર્મચારી વીમા (ESI)સ્કિમમાં ફાળાનો દર 6.5%થી ઘટાડી 4% (નોકરીદાતાનો 4.75%થી ઘટાડી 3.25% અને કર્મચારીઓનો 1.75%થી ઘટાડી 0.75% ફાળો) કરવાનો નિર્ણય કર્યો છે. ઘટેલા દર આગામી એક જુલાઈથી અસરકારક રહેશે. આનાથી 3.6 કરોડ કર્મચારીઓ અને 12.85 લાખ નોકરીદાતાઓને ફાયદો થશે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે આ માહિતી આપી હતી. કેન્દ્રીય સરકાર દ્વારા આ પગલું લેવાતા વાર્ષિક ધોરણે કંપનીઓને 5000 કરોડ રૂપિયાની બચત થશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ફાળાનો દર ઘટવાથી કામદારોને ઘણી રાહત થશે. અને વધુ કર્મચારીઓને ઇ.એસ.આઈ. યોજનામાં લાવવા માટે મદદ મળશે. ઉપરાંત, ઔપચારિક ક્ષેત્ર હેઠળ વધુ શ્રમ બળ લાવવાનું વધુ સરળ બનશે. એજ રીતે, એમ્પ્લોયર યોગદાનમાં ઘટાડો થવાથી કંપનીઓ પર આર્થિક બોજો ઘટશે. જેનાથી તેમના અસ્તિત્વમાં સુધારો થશે. આ નિર્ણથી વ્યવસાય કરવામાં વધુ સરળતા રહેશે. એ પણ શક્ય છે કે ઇએસઆઈ ફાળાના દરમાં ઘટાડો કાયદા સાથે વધુ સારી રીતે પાલન કરવા માટેનો માર્ગ મોકળો કરશે.
ઇ.એસ.આઈ. કાયદા હેઠળ નોકરીદાતાઓ અને કર્મચારીઓ બન્ને પોતાનું યોગદાન આપે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા, સરકાર ઇ.એસ.આઈ. કાયદા હેઠળ ફાળો આપવાનો દર નક્કી કરે છે. હાલમાં, યોગદાનનો દર પગારના 6.5 ટકા જેટલો છે, જેમાં રોજગારદાતાનું યોગદાન 4.75 ટકા અને કર્મચારીનું યોગદાન 1.75 ટકા છે. આ દર જાન્યુઆરી 1, 1997 થી ચલણમાં છે.