જામનગર : વન વિભાગએ કાળિયાર હરણનો શિકાર કરતી ટોળકીને ઝડપી પાડી

બૉલીવુડ સ્ટાર સલમાન ખાન જે કેસમાં ફસાયો છે તે કાળિયારનો શિકાર કરવાનો ચોંકાવનારો કિસ્સો જામનગર વનવિભાગએ પકડી પાડ્યો છે. રાજકોટના ધોરાજી નજીક પાનેલી પંથક માંથી કાળિયાર હરણનો શિકાર કરી જામનગરમાં ચામડું વેચવા આવેલી શિકારી ટોળકીના આઠ શખ્સોને દબોચી લઈ વનવિભાગે આઠે આરોપી વિરુધ્ધ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વન્યજીવોથી ભરપૂર સૌરાષ્ટ્રમાં ખૂબ ઘણી જાતના પશુ પક્ષીઓનો બેફામ પણે શિકાર કરવામાં આવે છે. તેવામાં ધોરાજી પંથકમાં આવેલા પાનેલીમાં શિકારી ટોળકી દ્વારા શેડ્યુલ 1 ભાગ 2 માં આવતા કાળિયાર હરણનો શિકાર કરવામાં આવી રહ્યો છે. કાળિયાર હરણનું ચામડું તેમજ શરીરના અન્ય અંગોનો પણ ખાનગીમાં ધંધો ચાલી રહ્યો હોય તેવી બાતમીના આધારે બે દિવસ પહેલા જામનગર શહેરની હરિયા કોલેજ પાસે સાંઢિયાં પુલ નજીક આ કાળિયાર હરણના વેચાણ માટે શખસો આવેલા હતા. તે આઠે શખ્સોને જામનગર વનવિભાગ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા કાળિયારના ચામડાનો ઉપયોગ તાંત્રિક વિધિ કરવામાં થતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ આરોપીઓ દ્વારા કેટલા શિકાર કરવામાં આવ્યા છે. અને તેને ક્યાં ક્યાં વેચવામાં આવ્યા છે. જેવી તમામ વિગતો જાણવા અને પૂછપરછ માટે રિમાન્ડ ની તજવીજ હાથ ધરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.