ડભોઇ : કરનાળીના કુબેર ભંડારી મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિતે ઊમટ્યું ઘોડાપૂર

ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલ સુપ્રસિધ્ધ તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નર્મદા સ્નાન સહિત શ્રદ્ધાળુએ વિવિધ સામગ્રી મહાદેવજીને અર્પણ કરી શિવજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પુણ્ય પવિત્ર શ્રાવણ માસ એટલે શિવજીની ભક્તિ આરાધનાનો અનેરો અવસર, આ આખા માસ દરમિયાન ભાવિકો શિવજીની પૂજા-અર્ચના કરી મહાદેવજી પ્રત્યે પોતાનો અનન્ય ભાવ વ્યક્ત કરતા હોય છે, ત્યારે આજે શ્રાવણ માસના સોમવારને લઇ ડભોઇ તાલુકાના નર્મદા કિનારેના તીર્થધામ કરનાળી ખાતે શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજન અર્થે ગુજરાત સહિત પરપ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પવિત્ર નર્મદાના નીરમાં સ્નાન કરી બિલીપત્ર, પુષ્પ, દૂધ, તલ,જળ જેવી વિવિધ સામગ્રી મહાદેવજીને અર્પણ કરી ભાવિકોએ પોતાની અને પરિવારની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
શ્રાવણ માસને અનુલક્ષી રાજસ્થાન અને અન્ય ક્ષેત્રોમાંથી અહીં પધારી આખાય શ્રાવણ માસ પર્યંત બ્રાહ્મણો શિવાલયમાં રોકાઈ ભક્તિ, આરાધના, અનુષ્ઠાન ઉપરાંત નદી કિનારાની પવિત્ર માટીમાંથી પાર્થિવેશ્વર શિવલિંગનું રોજેરોજ નિર્માણ કરી તેની વિશેષ પૂજા કરતા રહ્યા છે, ત્યારે આજે શ્રાવણ સોમવાર હોવાથી પધારેલા શિવ ભક્તોએ પાર્થિવેશ્વર શિવલિંગના દર્શનનો લ્હાવો લઈ કરનાળી સ્થિત શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર દેશભરમાં પ્રખ્યાત અને શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર હોવાથીવર્ષભર શ્રદ્ધાળુઓ જેમાં વિશેષ કરી પ્રતિ માસની અમાસ અને શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં અહીં પધારી દર્શન-પૂજનનો લાભ લઇ ધન્યતા મેળવતા હોય છે.