વડોદરા : પરશુરામના ભઠ્ઠા વિસ્તાર બન્યો જળબંબાકાર, લોકોને ખસેડાયા સલામત સ્થળે
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ પર પહોંચી જતાં પરશુરામના ભઠ્ઠા સહિતનો વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. લોકોના ઘરોમાં પાણી ભરાય જતાં તેમણે ઘરવખરી બચાવવા માટે દોડધામ કરી મુકી હતી.
આજવા સરોવરના ઉપરવાસમાં તેમજ વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ પર પહોંચી ચુકી છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ખાસ કરીને પરશુરામના ભઠ્ઠા વિસ્તારને નદીના પાણીએ ધમરોળી નાંખ્યો હતો. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતાં તેમને ઘરવખરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અનેક લોકોની ઘરવખરીને પાણીથી નુકશાન થયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળતાં એનડીઆરએફની ટીમોને બચાવ અને રાહત કામગીરી માટે ઉતારવામાં આવી હતી. પુરના પાણીમાં ફસાયેલાં અનેક લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢી સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં.