વલસાડ : દબાણ મુદ્દે શાકભાજી માર્કેટના વેપારી અને પાલિકા કર્મચારીઓ વચ્ચે થયું ઘર્ષણ

વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે દબાણ હટાવવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. બનાવને પગલે વલસાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
વલસાડ પાલિકાના એંક્રોચમેન્ટ વિભાગના કર્મચારી પાલિકાના કેટલાક કામદારોને લઈ વલસાડ શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવા ગયા હતા. શાકભાજી માર્કેટના વેપારીઓને જાણ થતાં ઉશ્કેરાયેલા વેપારીઓએ જાહેરમાં દબાણ દૂર કરવાના નામે પૈસા ઉઘરાવવા આવેલ કર્મચારીઓનો ઉધળો લીધો હતો. વેપારીઓએ હોબાળો મચાવી માર્કેટમાંથી પાલિકાના કર્મચારીઓને ઉભી પૂંછડીએ ભાગવા માટે મજબૂર કરી દીધા હતા. બનાવની જાણ વલસાડ પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક માર્કેટ ખાતે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડ પાલિકા દ્વારા દબાણ ઝૂંબેશના વિરોધ સામે શાકભાજી માર્કેટના વેપારીઓ ભેગા મળી વલસાડ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં હોબાળો મચાવી રજુઆત કરી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર સમયે રોજગારી મેળવતા નાના-મોટા વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. પાલિકા ચેમ્બરમાં વેપારીઓના ઘસી આવેલ ટોળાને શાંત પાડવા માટે એક સમયે પાલિકા પ્રમુખનો પરસેવો નીકળી ગયો હતો. જ્યારે આ બાબતે શાકભાજી માર્કેટના વેપારીઓ, પાલિકા માજી પ્રમુખ અને હાલના ચૂંટાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે, પાલિકાની આ ભૂલ છે. કારણ કે આ દબાણ દૂર કરવા માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે નગરપાલિકા દ્વારા બજારમાં વેપારીઓને જાણ થાય તે માટે અગાઉથી જ રીક્ષા ફેરવી જાણ કરી દબાણો દૂર કરવાના હોય છે. ત્યારે વેપારીઓને ધાક ધમકી આપી લૂંટ ચલાવી હેરાન કરવામાં આવી રહ્યા છે, જો આવનાર સમયમાં આ બાબતે વેપરીઓને ન્યાય ન મળે તો વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.