-
ભરૂચના દાંડિયા બજારમાં ગંદકીનો પ્રશ્ન
-
મીડિયામાં પ્રસારિત થયા હતા અહેવાલ
-
વોર્ડ 7ના સેનેટરી ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરાયા
-
લોકોએ કહ્યું સસ્પેન્શનના બદલે કામગીરી કરો
-
પ્રશ્નના નિરાકરણની ચીફ ઓફિસરની ખાતરી
ભરૂચ: દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ, લોકોએ કહ્યું આવા પગલા લેવા કરતા સાફ સફાઈ કરો !
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ગુજરાત | સમાચાર
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર સાતમાં આવેલા દાંડીયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે મીડિયામાં હેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું. ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલ શાકમાર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેકટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલા લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે
