• ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.