બિહારનાં પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.
નવા મંત્રીમંડળમાં ભાજપ અને જેડીયુ વચ્ચે 50-50 ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે.શાસક ગઠબંધનમાં સંતુલન જાળવવા માટે ભાજપ અને જેડીયુ વચ્ચે બરાબરની ભાગીદારી રાખવામાં આવી છે. શપથ લેનારા 32 મંત્રીઓમાં ભાજપના મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓ,અને જેડીયુના પણ 16 મંત્રીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત HAM (સંતોષ સુમન) અને LJP(R)ના ક્વોટામાંથી પણ ધારાસભ્યોને સ્થાન મળ્યું છે.
આ શપથ ગ્રહણ સમારોહનું સૌથી મોટું આકર્ષણ પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહ્યા હતા. નિશાંત કુમારે જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા છે.
સમ્રાટ ચૌધરીના કેબિનેટ મંડળમાં ભાજપમાંથી રામ કૃપાલ યાદવ, કેદાર ગુપ્તા, નીતીશ મિશ્રા, વિજય કુમાર સિંહા, પ્રમોદ ચંદ્રવંશી, સંજય ટાઈગર અને કુમાર શૈલેન્દ્રનો સમાવેશ થાય છે,જ્યારે જેડીયુમાંથી નિશાંત કુમાર, મદન સાહની, લેસી સિંહ, શ્વેતા ગુપ્તા, અશોક ચૌધરી અને રત્નેશ સદા વગેરે સ્થાન મળ્યું છે.
