માતરના પૂર્વ ધારાસભ્ય રાકેશ રાવની રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ તથા દર્શના જરદોશને પત્ર લખી કરી રજૂઆત.

માતરના પૂર્વ ધારાસભ્ય રાકેશ રાવે રેલવે મંત્રીને કરેલી લેખિત પત્ર દ્વારા રજૂઆતમાં કરી છે કે કોરોના મહામારીમાં રેલવે તંત્ર દ્વારા તમામ ટ્રેન વ્યવહાર બંધ કરી દીધો હતો. હાલમાં ધીમે ધીમે તમામ પ્રકારની સેવાઓ પૂર્વવત શરૂ થઇ ગઇ છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા અમદાવાદ વલસાડ તરફની લોકલ મેમુ ટ્રેનો શરૂ કરવી જોઈએ. કોરોના કાળ દરમિયાન છેલ્લા 2 વર્ષથી રેલવે ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. હાલ અમૂક ટ્રેનો ચાલુ કરાઈ છે. પરંતુ લોકલ મેમુ ટ્રેનો બંધ છે. લોકલ મેમુ ટ્રેન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આર્શિવાદ રૂપ છે. પરંતુ કોરોના કાળથી આ લોકલ મેમુ ટ્રેન સેવાઓ બંધ છે. જેથી લોકોની રોજી રોટી પર તેની અસર પડી રહી છે. લોકલ મેમુ ટ્રેન બંધ હોઇ લોકોને ખાનગી વાહનોમાં અવર જવર કરવી મોંઘી પડી રહી છે. જેથી લોકો આર્થિકરીતે કટોકટીમાં મુકાયા છે. એક બાજુ ધંધા રોજગાર કરતા લોકોના ધંધા ઠપ્પ છે આ વચ્ચે ઘર ચલાવવુ ખુબજ કઠીન બન્યુ છે.

હાલ કોરોના મહામારીનો પ્રકોપ ઓછો છે, જનજીવન તેમજ તમામ અન્ય પ્રકારની સેવાઓ પૂર્વવત શરૂ થઇ ગઇ છે. રેલવે તંત્ર દ્વારા એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન લોકલ મેમુ ટ્રેન સેવા હજુ શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ધંધા રોજગાર માટે અપ ડાઉન કરતાં મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા અમદાવાદ-વલસાડ તરફની લોકલ-મેમુ ટ્રેન સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તો જિલ્લા વાસીઓને રાહત મળે એમ છે.

આ સંદર્ભે માતરના પૂર્વ ધારાસભ્ય રાકેશ રાવે રેલવે મંત્રાલયને રજૂઆત કરી છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ તથા દર્શનાબેન જરદોશને પત્ર લખી અમદાવાદ -વડોદરા-સુરત-વલસાડ વચ્ચેની લોકલ ટ્રેન સેવા શરૂ કરવા માંગ કરી છે.