ગુજરાત રાજ્યમાં રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ ગત શનિવારના રોજ મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે, ત્યારબાદ આજે વહેલી સવારે પૂછપરછ માટે તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે લવાયા છે.

ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી, જ્યાંથો તિસ્તા સેતલવાડની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે જ પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારને પણ ક્રાઈમ બ્રાન્ચે સમન પાઠવ્યું છે. મહત્વનું છે કે, વર્ષ 2002ના ગુજરાત રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. જોકે, સમગ્ર મામલે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ તિસ્તા સેતલવાડને કોર્ટમાં રજૂ કરાશે. ઉપરાંત પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વર્ષ 2014ની જાન્યુઆરીમાં તિસ્તા સેતલવાડ સહિત 5 લોકો વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધવામાં આવી હતી. જેમાં વિદેશી ફંડિંગના નાણાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડથી તિસ્તાએ ઘરેણાં અને દારૂની ખરીદી કર્યાનો પણ આરોપ લાગ્યો છે. વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા હોવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે. તિસ્તા માટે વિવાદોમાં રહેવાના અનેક બનાવો સામે આવ્યા છે. તીસ્તાની સંસ્થા સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જોકે, રમખાણ પીડિતોએ જે તે સમયે તીસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે, પીડિતોની મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તિસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા છે. વર્ષ 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, તિસ્તા તેના પતિ જાવેદ અને અન્ય 3 લોકોએ મળી રૂ. 1.51 કરોડની છેતરપિંડી કરી હતી.