અમદાવાદ : પશ્ચિમ બંગાળની TMC પાર્ટી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી ધરણા, સાંસદ નરહરિ અમીનની આગેવાની હેઠળ કરાયું વિરોધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભારે હિંસા ફાટી નીકળી છે. જેમાં TMCના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ તેમના ઘરમાં તોડફોડ કરી તેમની ઓફિસો પણ સળગાવામાં આવી રહી છે. સમગ્ર મામલે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી ધરણા સહિત વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે આમદાવાદમાં પણ અલગ અલગ સ્થળોએ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધરણાના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં TMCએ ચૂંટણી જીત્યા બાદ ભારે હિંસા ફાટી નીકળતા TMCના કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે. જેને લઈને ભાજપ શાસિત રાજ્યોમાં TMCના વિરોધમાં ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ સીજી રોડ પર સાંસદ નરહરિ અમીનની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સમગ્ર મામલે સાંસદ નરહરિ અમીને જણાવ્યુ હતું કે, પશ્ચિમ બંગાળમાં TMC જીત્યું છે, ત્યારે TMC દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં હાલ બહેન દીકરીઓ સુરક્ષિત નથી, ત્યારે તેમના રક્ષણની માંગ સાથે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.