/connect-gujarat/media/post_banners/67da0052edf55a7ec9e0a1ac38eef2cff4558ba79376f3dcdd4f1d0f1f9dd304.jpg)
કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર રાજ્યમાં 8 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. છેલ્લા 2 દિવસમાં જ 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉત્તરાયણના તહેવાર બાદ રાજ્યમાં ફરીવાર કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે આવનાર દિવસોમાં કોરોના વિસ્ફોટ તો નહીં થાય તેવી લોકોના મનમાં શંકા ઉઠી છે.
રાજ્યભરમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે. રાજ્યમાં ઉતરાયણનો તહેવાર લોકોએ ધામધૂમ સાથે મનાવ્યો હતો, ત્યારે સરકારી ગાઈડલાઇનને અનુસરીને લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી. જોકે, તહેવાર પૂર્ણ થતાંની સાથે જ આજે સવારથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતારો જોવા મળી છે. શહેરના પ્રભાત ચોક, વસ્ત્રાપુર અને બોડકદેવ સહિતના પશ્ચિમ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે. આમ પણ અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર છે, ત્યારે નાના બાળકોથી લઇ મોટેરાઓએ ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. લોકોમાં શરદી, ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. આમ એવી પણ સંભાવના વર્તાય રહી છે કે, આવનારા દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. જોકે, બીજી તરફ તહેવારને ઉજવવામાં અનેક લોકો પોતાની જવાબદારી ભૂલી ગયા હોઈ તેવું લાગી રહ્યું છે.