![અમદાવાદ:ચૂંટણી પહેલા સાણંદના પ્રાંત ઓફિસર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને કર્યો આપઘાત, કારણ અકબંધ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/5b8e3e5fb8bcf6fa6b7d35c79161c3d99c4ff5dbf05cbc3bd1ae01d53ea1c882.jpg)
અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે તેમના ફ્લેટના 5માં માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સરકારી અધિકારીઓ પણ ચૂંટણીનાં કામમાં રાત-દિવસ એક કરી રહ્યા છે. રાતોની રાતો સુધી અધિકારીઓ ચૂંટણીનાં કામમાં વ્યસ્ત રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આરકે પટેલે આજે વહેલી સવારે સાણંદ ખાતે પોતાના ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને મોડી રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા અને આજે વહેલી સવારે તેમણે આપઘાત કરી લીધો હતો. આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેમના આપઘાત બાદ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે.
અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. અચાનક આપઘાત કરી લેવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક આપઘાત બાદ આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.