અમદાવાદ: વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનારા શિક્ષકોને જ પોતાની સજ્જતાની પરીક્ષા નથી આપવી, ભાજપ કોંગ્રેસ સામસામે
રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર વિવાદ, કોંગ્રેસે લગાવ્યા શિક્ષણ વિભાગ પર આરોપ.
ગુજરાતમાં આજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ થઈ રહ્યું છે.આ સર્વેક્ષણનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો હવે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે અને રાજ્ય સરકાર પર ગંભીર પ્રહાર કર્યા છે અને શિક્ષણ વિભાગ પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી તેમની માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે પાસ-નાપાસ નથી.અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો.શિક્ષકની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં.
શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઈ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોના હિતમાં આ સર્વેક્ષણ છે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન યથાવત રહેશે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શિક્ષણમાં ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શિક્ષણના હકમાં છે. ગુણવત્તા સુધારવાના હકમાં છે. બહિષ્કારની જાહેરાત વ્યાજબી ન હોવાનું શિક્ષણ પ્રધાને જણાવ્યુ હતું.
બીજી બાજુ આ સર્વેક્ષણને લઇ અનેક શિક્ષક સંગઠન સરકારની સામે થયા છે તો કોંગ્રેસે પણ શિક્ષણ વિભાગ પર અવ્યવસ્થા ઉભા કરવાનો આરોપ લગાવ્યો શિક્ષકોને હેરાન કરવા માટે સરકાર બિન શૈક્ષણિક જવાબદારી સોંપે છે.વર્ગખંડમાં કામ કરતા શિક્ષકોની સજ્જતા ચેક કરતા પહેલા, શિક્ષણ વિભાગ ગાંધીનગર અને સ્વર્ણિમ સંકુલના લોકોની સજ્જતા જોવાની જરૂર છે.
શિક્ષકોના હક અને અધિકાર માટેની વાત સાંભળવા માટે કેમ સમય નથી.શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા છે ત્યાં 4 વર્ષથી નિમણુંક કેમ નથી થતી આવા અનેક સવાલો કોંગ્રેસ ઉઠાવ્યા છે આમ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.