![અમદાવાદ : અંગ દઝાડતી ગરમીમાં શહેરીજનો નહીં થાય વધુ હેરાન, બોપોરે 4 કલાક ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/a220b4198bfc797af6525c9408a59a9aa891ffa40533b11837770a1c1a786e14.jpg)
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે સૌથી વધુ ગરમી પડે છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. જેમાં અંગ દઝાડતી ગરમીમાં શહેરીજનો વાધારે હેરાન ન થાય તે માટે પોલીસ તંત્રએ બોપોરના 1થી 4ના સમય દરમ્યાન શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રીવ્યુ કરીને લેવામાં આવ્યો છે. ઉપરાંત સિગ્નલ બંધ રાખવાથી પણ ટ્રાફિકને કોઈ અગવડતા પડે નહીં તેવું આયોજન કરાયું છે.
રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદ ગરમીમાં શેકાઇ રહ્યું છે. ઉનાળાના સમયમાં અમદાવાદમાં તાપમાન 42થી 43 ડિગ્રી પહોંચી રહ્યું છે. તો શહેરના અનેક વિસ્તારોમાં બપોરના સમયે તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોચે છે, ત્યારે ડીહાઈડ્રેશન અને વોમેટિંગ થવાના બનાવો પણ વધી રહ્યા છે. બપોરના સમયે ભર તાપમાં સિગ્નલો પર ઘણા લોકોએ ઉભું રહેવું પડે છે, ત્યારે ટ્રાફિક પોલીસની એક બેઠકમાં શહેરના તમામ સિગ્નલોને બપોરે 4 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, અમદાવાદ ટ્રાફિક પોલીસના આ નિર્ણયથી શહેરીજનોને પણ ગરમી સામે આંશિક રાહત મળી છે.