ભાજપના દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના પ્રભારી અને યુવા મોરચાના મહામંત્રીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે, ત્યારે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય માહોલ પણ ગરમાઇ રહ્યો છે. હવે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, ત્યારે દાહોદ ભાજપમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું છે. ભાજપના દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના પ્રભારી ગોપસિહ કેશરસિહ અને યુવા મોરચાના મહામંત્રી સુનિલ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતાઓ અને કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. કોંગ્રેસમાં જોડાયેલ ગોપસિંહ છેલ્લા 27 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર છે. આ ઉપરાંત તેઓ જિલ્લા બક્ષી પંચના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, અને દાહોદ ભાજપને મજબૂત કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આમ ચૂંટણી પહેલા દરેક રાજનૈતિક પાર્ટીમાં આવક-જાવકનો દોર શરૂ થઈ ગયો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની નીતિ ગરીબ વિરોધી છે. જેથી અનેક લોકો કોંગ્રેસમાં જોડાય રહ્યા છે, અને આવનાર સમયમાં રાજ્યમાં પરિવર્તન આવશે તે નક્કી છે.