અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં હાલમાં જ નિર્માણ પામેલ બ્રિજની હાલત અત્યંત બિસ્માર બની જતાં ગાંધીનગરથી આ મામલે AMC પાસે રિપોર્ટ્સ સહિતની વિગતો મંગાવવામાં આવી છે, ત્યારે આજરોજ AMC કમિશ્નર સહિત મનપાની ટીમે બ્રિજ પર સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદના હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતાથી નોંધ લીધી છે. તો બીજી તરફ, AMC કમિશનર એમ. થેન્નારસને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. જેમાં આ બ્રિજની ગુણવત્તા સામે ઉઠેલા સવાલ બાદ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ્સ સાથે બ્રિજના રિપોર્ટ્સ સાથે હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. હાટકેશ્વરના બ્રિજમાં હલકી ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે, ત્યારે અહીથી પસાર થતાં રાહદારીઓ સહિતના વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જોકે, આ બ્રિજ પર પડેલા ગાબડા બાદ તેના નમૂના રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, M-45 ગ્રેડના બદલે M-25 ગ્રેડની કોંક્રેટ વાપરવામાં આવી હતી. લેબોરેટરી KCT અને CIMECના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, બ્રિજ બનવાતી વખતે તેમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હતો. હવે, આ રિપોર્ટ આવ્યા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને તેમને પુલ દુર્ઘટના જેવી હોનારત થવાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે આજરોજ AMC કમિશ્નર એમ. થેન્નારસન સહિત મનપાની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જોકે, હવે આ બ્રિજને વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવો કે, પછી તેને ડિમોલેટ કરવો તે મામલે IIT રૂડકીના રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે.