અમદાવાદ : ઓકિસજન અને વેન્ટીલેટર બેડની સંખ્યા કરાશે બમણી, કોરોનાની ત્રીજી લહેર પહેલાં તંત્ર સજજ

બીજી લહેરમાં ઓકિસજનની વર્તાઇ હતી અછત, હોસ્પિટલમાં બેડ મેળવવા લોકોને થઇ હતી મુશ્કેલી.

New Update
અમદાવાદ : ઓકિસજન અને વેન્ટીલેટર બેડની સંખ્યા કરાશે બમણી, કોરોનાની ત્રીજી લહેર પહેલાં તંત્ર સજજ

કોરોનાનો કહેર ભલે ઓછો થઇ ગયો હોય પણ બીજી લહેરની જેમ ફજેતી ન થાય તે માટે સરકાર આગોતરૂ આયોજન કરી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં વેન્ટીલેટર અને ઓકિસજનની સુવિધાથી સજજ બેડની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લેવાયો છે.

એપ્રિલ, મે અને જુન મહિનામાં કોરોનાની બીજી લહેર આવી હતી જેમાં અસંખ્ય લોકોના મોત થયાં હતાં. ખાસ કરીને કોરોનાથી સંક્રમિત થયેલાં દર્દીઓને ઓકિસજન તથા વેન્ટીલેટરવાળા બેડની ભારે અછત વર્તાઇ હતી. હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ હોવાથી કેટલાય દર્દીઓની એમ્બયુલન્સમાં જ સારવાર આપવામાં આવી હતી.

પોતાના સ્વજનો માટે ઓકિસજનની બોટલ અને રેમડેસિવિર ઇન્જેકશનની અછત ઉભી થતાં કાળાબજાર પણ થયાં હતાં. લોકોએ મોંઘા ભાવે ઇન્જેકશનો ખરીદ્યા હતાં. વૈજ્ઞાનિકોએ આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની શકયતા વ્યકત કરી છે ત્યારે સરકાર આગોતરા આયોજનમાં લાગી છે.

કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં આરોગ્ય સેવાઓ કથળે નહીં તે માટે અગાઉથી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક જિલ્લામાં બેડ કે ઓકિસજનની અછત ન સર્જાય તે માટે અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં ઓકિસજન અને વેન્ટીલેટરવાળા બેડની સંખ્યા હાલની સંખ્યા કરતાં બમણી કરી દેવામાં આવશે. .એસવીપી, વીએસ, એલ.જી અને શારદાબેન હોસ્પિટલમાં બેડની સંખ્યા 1,006થી વધારીને 1,241 સુધી લઇ જવાની તૈયારીઓ શરૂ કરાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજન, આઈસીયુ વેન્ટિલેટર વગર અને આઈસીયુ વેન્ટિલેટર સહિત બેડની સંખ્યા 2,247 થશે સાથે જ સિવિલ નર્સિંગ સ્ટાફને આગોતરી તાલીમ આપવાનું શરૂ કરી દેવાયું છે. કોરોનાની બીજી લહેરમાં સરકારની આબરૂના ધજાગરા ઉડી ગયાં હતાં ત્યારે હવે સરકાર પાણી પહેલા પાળ બાંધવામાં લાગી છે.