અમદાવાદ : છેલ્લા 2 વર્ષથી સી-પ્લેનની સેવા ખોરંભે ચઢી, અટલબ્રિજના કાચમાં પણ તિરાડો પડી..!
મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા 2 વર્ષથી બંધ, લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં તિરાડો.
અમદાવાદીઓ સહિત રાજ્યના લોકો માટે અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ ખાતે શરૂ કરાયેલ મનોરંજનની સેવાઓ ખોરંભે ચઢી હોય તેવો ઘાટ ઘડાયો છે. મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ પડી છે, જ્યારે લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં પણ તિરાડો પડતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
અમદાવાદીઓ સહિત રાજ્યના લોકો વિદેશના લોકોની જેમ સી-પ્લેન સફર માણી શકે તે માટે 31 ઓક્ટોબર 2020થી સી-પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સેવા શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાબરમતી રિવરફ્રન્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ સી-પ્લેન પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને દુબઈથી સી-પ્લેન ખાસ મગાવ્યું હતું.
સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટથી પ્લેનમાં બેસીને કેવડિયા ગયા હતા. ત્યારથી સી-પ્લેનની શરૂઆત થયા બાદ માત્ર એક જ મહિનામાં એના મેઇન્ટેનન્સના નામે થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું, અને આજે છેલ્લાં 2 વર્ષથી એની સેવા બંધ હાલતમાં જોવા મળે છે.
તો બીજી તરફ, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટે લોકપ્રિય બનેલા અટલ ફૂટબ્રિજના ઉદઘાટનના 7 મહિનામાં જ લગાવવામાં આવેલા આકર્ષક 4 કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. રૂ. 74 કરોડના ખર્ચે બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજમાં માત્ર 7 મહિનામાં જ તિરાડો પડતાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીએ પોતાનો લૂલો બચાવ ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી હોવાનું કારણ આગળ ધર્યું હતું. જોકે અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર એકસાથે ખૂબ જ વધારે મુલાકાતીઓ આવતા હોવાથી બ્રિજને ક્યારેક બંધ કરવાની પરિસ્થિતિ પણ ઊભી થાય છે, જેના કારણે આ કાચમાં પણ તિરાડો પડી હતી. બ્રિજમાં તિરાડો પડી જતાં હવે લોખંડની ગ્રિલ લગાવી દેવામાં આવી છે.