અમદાવાદ : તહેવાર પહેલા શહેરમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત, ભીડભાડ વાળી જગ્યા પર રહેશે બાજ નજર
અમદાવાદને રક્તરંજિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડયંત્ર રચી રહ્યા છે. તારે આ સ્થિતિ બાદ હવે શહેરમાં પોલીસ એલર્ટ થઇ છે
અમદાવાદ પોલીસ કમિશનરના એલર્ટ મામલે જાહેરનામું અને કંટ્રોલરૂમમાં આવેલા નનામા કોલથી એક વાત ચોક્કસ છે કે અમદાવાદને રક્તરંજિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડયંત્ર રચી રહ્યા છે. તારે આ સ્થિતિ બાદ હવે શહેરમાં પોલીસ એલર્ટ થઇ છે અને જાહેર સ્થળો ઉપરાંત ભીડભાડ વાળી જગાઓ પર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
ગુરુવારે પોલીસ કંટ્રોલરૂમમાં એક નનામો કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદોમાં શંકાસ્પદ માણસ છે, જે ભારતીય ભાષા જાણતા નથી. કંટ્રોલરૂમમાં આવેલા કોલ બાદ શહેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ દોડતા થયા હતાં અને કોટ વિસ્તારમાં આવેલી પાંચેક મસ્જિદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, બે દિવસ પહેલાં પણ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને એલર્ટ આપ્યું હતું તે જોતાં અમદાવાદ પર આતંકી હુમલાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય તેવું સુરક્ષા એજન્સીઓ માની રહી છે. ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ સિવાય ATS તેમજ ક્રાઇમ બ્રાંચ જેવી એજન્સીઓ ટેકિંનકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ કોલ ટ્રેસ કરી રહી છે તેમજ ફોન પર ઉપયોગ થતા કેટલાક કોડવર્ડ પણ ક્રેક કરવાની કોશિશ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. પોલીસે રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, એરપોર્ટ તેમજ વિવિધ જગ્યા પર વોચમાં છે તેમજ શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા પર પોઇન્ટ મૂકી દીધા છે, જ્યારે અમદાવાદ ફરતે કેટલા પરપ્રાંતીય લોકો મકાન ભાડે લઈને રહે છે તેની પણ તપાસ શરૂ કરી દીધી છે તો બીજી તરફ હોટલ અને ગેસ્ટ હાઉસમાં રહેતા લોકોની પણ તપાસ કરી રહી છે.