Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં દોહિત્રીને મળવા આવેલ મહારાષ્ટ્રની મહિલા માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ, પરિજનોએ કર્યું અંગદાન...

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.

અમદાવાદમાં દોહિત્રીને મળવા આવેલ મહારાષ્ટ્રની મહિલા માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ, પરિજનોએ કર્યું અંગદાન...
X

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે. જેના પરિણામે જ સતત 5 દિવસથી દિવસ રાત મહેનતના પરિણામે સતત 5 અંગદાન થયા છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા 10થી 15 દર્દીઓના સગા-સંબંધીઓને અંગદાન અંગેની સમજ, સમજૂતી આપવામાં આવી તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું, ત્યારે તેમાંથી 5 પરિવારોએ આ સત્કાર્યની સંમતિ દર્શાવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 9મી મેના રોજ થયેલ 109મા અંગદાનની વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં પોતાની દોહિત્રીને મળવા આવેલા 43ની વયના ચિત્રા ચંદેકર અમદાવાદથી મહેમદાબાદ પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું વાહન સ્લીપ થઇ જતા તેઓ ઢળી પડતાં માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. અતિગંભીર ઇજાના પરિણામે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 24 કલાકની સધન સારવારના અંતે તબીબોએ ચિત્રા ચંદેકરને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર્સે પરિવારજનોને અંગદાનની અગત્યતા સમજાવી. અંગદાનની સમજ મેળવીને પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું નક્કી કર્યું. આમ આ નિર્ણય બાદ જ્યારે ચિત્રાબેનના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે 7થી 8 કલાકની મહેનતના અંતે 2 કિડની અને 1 લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જે કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 109મા અંગદાન વિશે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. કહેવાય છે ને કે, સત્કાર્યને કોઇ સરહદ નડતી નથી તેવી જ રીતે અંગદાન કરવા માટે પણ આ સીમાડાઓનું કોઇ બંધન નથી. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં થયેલ અંગદાનની જાગૃકતા હવે ફક્ત ગુજરાત પૂરતી સીમિત ન રહીને અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તી છે. જેના પરિણામે જ આ દર્દી મૂળ મહારાષ્ટ્રના હોવા છતા તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજીને ગણતરીની મીનિટોમાં અંગદાનનો નિર્ણય કર્યો છે. અંગદાનની જાગૃતતા માટે સેવારત દિલિપ દેશમુખ તેમજ સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં લગોલગ 5 અંગદાનમાં સફળતા મળી છે. આ 5 અંગદાતાઓના મળેલા 15 અંગોના પરિણામે 15 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

Next Story