અમદાવાદ ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત, મૃતક યુવાનોના ગામમાં છવાયો માતમ
અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાનોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ આખુ હીબકે ચઢ્યુ હતું.
અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બોટાદ ખાતે રહેલા રોનક વિહલપરાનું પણ મોત નિપજ્યું હતું. રોનકનું મૂળ વતન ચુડા તાલુકાનું ચાચકા ગામ હોય તેના મૃતદેહનો ચાચકા ગામે લાવવામાં આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
રોનકની અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું હતું અને હિબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી બંને યુવક રોનક અને કૃણાલના મૃતદેહને બહાર કાઢી ઘરમાં લઈ જવામાં આવ્યા હતા, જે જોઈ લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા નહોતા.
બંનેનાં માતા-પિતાએ પોતાના વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું. જે દીકરાનો 20થી વધુ વર્ષ સુધી વહાલથી ઉછેર્યો હતો તેના પાર્થિવદેહને જોઈ માતા-પિતા પર આભ ફાટ્યું હતું.