અમરેલી : અમૃતપુર ગામે સાંકળથી બાંધેલા વૃદ્ધને દીપડાએ ફાડી ખાધો, વન વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ

Update: 2021-01-27 09:40 GMT

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારની આસપાસ આવેલા ગ્રામ્ય પંથકમાં જંગલી વન્ય પ્રાણીઓ દ્વારા માનવજાતિ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં માનવભક્ષી દીપડાએ એક વૃદ્ધને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના દલખાણિયા રેન્જના અમૃતપુર ગામ નજીક એક વાડી વિસ્તારમાંથી દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાના પગલે ગ્રામજનોનું ટોળું ભેગું થયું હતું. જેમાં ગામના જ રહેવાસી 75 વર્ષીય મનુ સાવલિયાનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જોકે, ઘટના સ્થળે મૃતક વૃદ્ધના હાથ સાંકળથી બાંધેલી હાલતમાં જોતાં વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, ત્યારે વૃદ્ધને કોણે સાંકળથી બાંધ્યા હતા તે દિશામાં વન વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત અવારનવાર દીપડા દ્વારા થતાં હુમલાની ઘટના સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. જોકે વન વિભાગ દ્વારા દીપડાના હુમલાને રોકવાની દિશામાં પગલાં લેવામાં આવે તેવી પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News