આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલનો પણ ચાર્જ સોંપાયો

Update: 2020-06-29 06:18 GMT

મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપાયો છે. મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડન અસ્વસ્થ હોવાથી તેમની ગેરહાજરીમાં આનંદીબેન પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની માહિતી રાષ્ટ્રપતિ ભવનમાંથી જાહેર કરવામાં આવી છે. આંનદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનરનો વધારાનો હવાલો આપવાથી મંત્રીમંડળના વિસ્તરણનો રસ્તો પણ સ્પષ્ટ થઇ રહ્યો હોઇ એવુ લાગી રહ્યું છે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની તબીયત થોડા સમયથી ખરાબ છે. તેઓ થોડા દિવસો પહેલા ભોપાલથી લખનૌ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમની તબિયત અચાનક ખરાબ થઇ હતી, જેથી તેમના પરિવારજનોએ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે જે સમયે ગર્વનરને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે સમયે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી, પરંતું હવે તેની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. તેમ છતાં તે હજી વેન્ટિલેટર પર છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અગાઉ પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો હવાલો સંભાળી ચૂક્યા છે. લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ કેબિનેટના વિસ્તરણ અંગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પણ ઈચ્છે છે કે કેબિનેટનો જલ્દીથી વિસ્તરણ કરવામાં આવે. સોમવારે સાંજ સુધીમાં મત્રીમંડળ વિસ્તરણની લીસ્ટ ફાઇનલ થઇ શકે છે. તેઓ દિલ્હીમાં ટોચના નેતૃત્વ સાથે આ મુદ્દે ચર્ચા કરવા ગયા છે.

Similar News