ભરૂચ : બે દિવસથી મેહુલિયો મહેરબાન, સાર્વત્રિક વરસાદથી ખુશહાલીનો માહોલ

Update: 2020-08-12 10:25 GMT

ભરૂચમાં જન્માષ્ટમીના દિવસે સવારથી અવિરત વરસાદ વરસી રહયો હોવાથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા લેવા ખુદ મેઘરાજા આવ્યાં હોય તેમ લાગી રહયું છે. મંગળવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ યથાવત રહયો છે.

ભરૂચ શહેરમાં જન્માષ્ટમીના પાવન અવસરે મેઘ મહેર થતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. કોરોના વાયરસના કહેર વચ્ચે ઓગસ્ટ મહિનામાં આવતા ધાર્મિક તહેવારો પર રોક લાગી જવા પામી છે. જન્માષ્ટમીના દિવસે ભરૂચમાં ભરાતો ઐતિહાસિક મેઘ મેળો પણ રદ કરી દેવામાં આવ્યો છે.

બુધવારના રોજ જન્માષ્ટમીના પાવન અવસરે ભરૂચ શહેરમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે ધીમી ધારે વરસાદ પડતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભરૂચ શહેર ઉપરાંત જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Similar News