ભરૂચ : રસ્તાઓના રીપેરીંગ મુ્દે શાસક- વિપક્ષ આમને સામને, તમે પણ જુઓ શું છે વિવાદ

Update: 2020-10-30 11:09 GMT

ભરૂચ શહેરના ખખડધજ બની ગયેલા રસ્તાઓ પર હાલ પેચવર્કની કામગીરી ચાલી રહી છે પણ તેમાં શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયાં છે. વિપક્ષનો આક્ષેપ છે કે, રસ્તાઓ ઉપર ધુળ સાફ કર્યા સિવાય જ ડામર પાથરી દેવામાં આવી રહયો છે….

ભરૂચ શહેરના રસ્તાઓ ચોમાસામાં બિસ્માર બની જાય છે તે કોઇ નવાઇની વાત નથી. નગરપાલિકા દર વર્ષે નવા રસ્તાઓ બનાવવા તેમજ રસ્તાઓના રીપેરીંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી દીધાં બાદ કેવી કામગીરી થાય છે તે જોવાની કોઇ તસદી સુધ્ધા લેતું નથી. વાત કરવામાં આવે ભુગુઋુષિ બ્રિજની તો થોડા વર્ષો પહેલાં બનેલાં બ્રિજનો રસ્તો તથા બંને સાઇડનો સર્વિસ રોડ બિસ્માર બની ગયો છે. સરકારમાંથી આવેલી ગ્રાંટમાંથી હાલ રસ્તાઓના પેચવર્કની કામગીરી ચાલી રહી છે પણ તેમાં વેઠ ઉતારવામાં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો છે.

રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ થતાં વાહનચાલકોને આંશિક રાહત સાંપડી છે. આ બાાબતે નગરપાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારમાંથી જેમ જેમ ગ્રાંટ આવે છે તેમ તેમ રસ્તાઓના પેચવર્ક કરાય રહયાં છે. આગામી દિવસોમાં રસ્તાઓને આરસીસીના બનાવવાનું પણ આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની ટર્મ પુરી થવા આવી છે પણ કોરોના વાયરસના કારણે ચુંટણીઓ પાછળ ઠેલવી દેવામાં આવી છે ત્યારે આરસીસીના રસ્તાઓ આચાર સંહિતાના કારણે બની શકશે કે કેમ તે એક સવાલ છે.

Tags:    

Similar News