ભરૂચ : શિવરાત્રીની પરોઢે ધુમ્મસથી ઝીરો વિઝિબીલીટી, જંબુસરમાં અકસ્માત

Update: 2020-02-21 07:17 GMT

શિવજીની અરાધનાના પર્વ શિવરાત્રીએ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધુમ્મસના કારણે ઝીરો વિઝિબીલીટી થઇ જતાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી જયારે જંબુસરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાળકી સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણના પગલે શીતલહેર પ્રસરી હતી. વિઝિબીલીટી ઝીરો થઇ જતાં વાહનવ્યવહાર અને ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળી હતી. ભરૂચ-સુરત વચ્ચે ધૂમમ્સભર્યા વાતાવરણના કારણે 5 જેટલી ટ્રેન નિયત સમય કરતા 20 મિનિટ મોડી પડી હતી. સુર્યનારાયણના કિરણો પડતાની સાથે ધુમ્મસ ગાયબ થઇ ગયું હતું. બીજી તરફ જંબુસરમાં ધુમ્મસના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો. પાદરાથી કાવી જઇ રહેલા દિવાન પરિવારની બાઇક જંબુસરના પ્લાઝા સર્કલ પાસે કાર સાથે અથડાઇ હતી. જેમાં અકબરશાહ દીવાન,સબાના બાનું દીવાન,આલિયા દીવાનને ઇજા થતાં તેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

Similar News