ભરૂચ : શહેરીજનો પાસે 5 કરોડના બાકી વેરાની વસુલાત માટે સિલિંગની કાર્યવાહી

Update: 2020-03-06 11:13 GMT

ભરૂચમાં શહેરીજનો પાસેથી બાકી પડતાં 5 કરોડ રૂપિયાની વેરા વસુલાત માટે પાલિકા તંત્રએ મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતાં બાકીદારોમાં ફફડાટ ફેલાય ગયો છે.

ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2019-20ના વર્ષ માટે વેરાની આવક પેટે 12 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક નકકી કર્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી મિલકત, લાઇટ અને પાણી વેરાની વસુલાત કરવામાં આવે છે. કેટલાય મિલકતધારકોને વેરાના બિલની બજવણી કરી દેવામાં આવી હોવા છતાં તેઓ વેરો ભરવામાં અખાડા કરી રહયાં છે. 31મી માર્ચ નજીક આવતી હોવાથી લક્ષ્યાંકને પુર્ણ કરવા પાલિકાએ બાકી પડતા વેરાની વસુલાતની કામગીરી કડક બનાવી દીધી છે. શુક્રવારના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વેરાની વસુલાત માટે મિલકતો સીલ કરવામાં આવતાં બાકીદારોમાં દોડધામ મચી ગઇ છે. જો 31 મી માર્ચ પહેલાં બાકી પડતાં વેરાની રકમ ભરપાઇ નહિ કરનારા બાકીદારોના નળ જોડાણો કાપી નાંખવાની ચીમકી પણ પાલિકા સત્તાધીશોએ આપી છે.

Similar News