ભરૂચ : ઉમલ્લા નજીક આરપીએલ કંપનીના પટાંગણમાં આવેલાં મંદિરમાં ચોરી

Update: 2021-01-15 12:38 GMT

ઝઘડીયાના ઉમલ્લા પાસે આવેલી આરપીએલ કંપનીના પરિસરમાં આવેલાં મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. મંદિરમાં ત્રાટકેલા તસ્કરો દાનપેટી તોડી તેમાં રહેલી રોકડ રકમ લઇને ફરાર થઇ ગયાં હતાં.

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ આરપીએલ કંપનીના કમ્પાઉન્ડમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઉમલ્લાના રહેવાસી બ્રિજેશ ઉપાધ્યાય પુજારી તરીકે કામ કરે છે. મંદિરના ગર્ભગૃહની બહાર ઓટલા પર દાનપેટી મુકેલી છે.આ દાનપેટી દર ચાર વર્ષે ખોલવામાં આવે છે અને તેમાંથી રુ.છ સાત હજાર રૂપિયા નીકળતા હોય છે.ઉતરાયણના દિવસે બ્રીજેશભાઇને ખબર પડી કે મંદિરની દાનપેટી તોડીને તેમાંની રકમની ચોરી થઇ છે.તેમણે મંદિરે જઇને જોતા દાનપેટીના નીચેના પતરાને તોડીને તેમાંની દાનની રકમ તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.

દાનપેટી પાસે છુટા પરચુરણના સિક્કાઓ વેરવિખેર પડેલાં હતાં. તેમજ મંદિરના પાછળના ભાગે ઓટલા નીચે જુની પાંચની બે નોટો અને બાજુમાં લોખંડનું એક ઓજાર પડેલુ હતુ. મંદિરના પાછળના ભાગે થોડે દુર થોડા સિક્કાઓ તેમજ એક જુની પાંચસો રુપિયાની નોટ વિગેરે પડેલુ હતુ. બ્રીજેશભાઇએ મંદિરમાં થયેલી આ ચોરી અંગે ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવા તજવીજ હાથ ધરી છે.

Tags:    

Similar News