અંકલેશ્વર : ગેરેજમાં સર્વિસ માટે આવેલ પંજાબ પાર્સિંગની ટ્રકમાંથી ક્લીનરનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...

Update: 2023-06-13 12:47 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક ગણેશ-વે બ્રિજના સામે આવેલ ગેરેજમાં એન્જિનના રીપેરીંગ કામકાજ માટે આવેલ પંજાબ પાર્સિંગ ટ્રકના ક્લીનરનો ટ્રકના જ કેબીનના પાછળના ભાગેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ ગણેશ-વે બ્રિજ સામે નિખિલ ઓટો મોબાઇલ નામક ગેરેજના સંચાલક સુનીલકુમાર પુરુષોત્તમ ટેટીએ આપેલ ફરિયાદ મુજબ, ગત તા. ૧૧/૦૬ના રોજ તેમના ગેરેજ પર એન્જિનના રીપેરીંગની કામગીરી માટે એક પંજાબ પાર્સિંગની ટ્રક લઈને કુપુર્થલાના રહેવાસી ડ્રાઇવર કુલદીપસિંઘ ગુર્જરસિંઘ તેમજ કલિનર મનદીપસિંઘ સુચાસિંઘ આવ્યા હતા. ટ્રકમાં એન્જિનની રીપેરીંગ કામગીરીમાં પાર્ટસ ખૂટતા ટ્રકને ગેરેજ સામે પાર્ક કરાવી હતી, તેમજ ગેરેજ સંચાલક ગેરેજ બંધ કરી ઘરે ગયા હતા. જે દરમિયાન બીજા દિવસે સવારે ગેરેજ સંચાલકને ફોન આવ્યો હતો કે, જે પંજાબ પાર્સિંગની ટ્રક આવી હતી, તેનો ક્લીનર ટ્રકના કેબીનના પાછળના ભાગે મૃત હાલતમાં હોવાનો જણાવતા ગેરેજ સંચાલકે સ્થળ ઉપર આવી ક્લીનરનો શ્વાસ તપાસતા તેનો શ્વાસ ચાલતો ન હતો. ઉપરાંત ગળાના ભાગે રતાશ પડતા નિશાન અને જમણા હાથની કોણીના ભાગેથી લોહી નીકળતું હોવાનું માલુમ પડતા શંકાસ્પદ હાલતમાં ક્લીનરનું મોત નીપજ્યું હોવાની શંકા જતા અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે અંકલેશ્વર ડીવાયએસપી સહિત બી’ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતક ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના સ્થળનું નિરિક્ષણ તેમજ પંચનામુ કરી યુવાનના મોત પાછળનું કારણ શોધવા વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News