અંકલેશ્વર : પુનાથી અમદાવાદ જતી વેળા વિશાળકાય વાહન નિલેશ ચોકડી નજીક બ્રિજમાં અટવાયું..!
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો,
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 48 પર આવેલ નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાય જતાં ભારે અફરાતફરી મચી હતી. પુનાથી અમદાવાદ જતી વેળા આ વિશાળકાય વાહન બ્રિજની વચ્ચોવચ્ચ ફસાય જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બનાવના પગલે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો, જ્યાં પોલીસે ટ્રાફિક જામ હળવો કરી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ વિશાળકાય વાહન માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે તેની સાથે પાઇલોટિંગ માટે અન્ય વાહનો પણ રહે છે, ત્યારે આ ઘટનામાં પાઇલોટિંગ વાહન ચાલક જવાબદાર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.