ભરૂચ : આમોદના રનાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો...

શાળા પરિવારે પણ શિક્ષકને સ્મૃતિભેટ આપી હતી. તો ગામના ક્રિકેટ રસિક યુવાનોએ પણ શિક્ષકને બેટની ભેટ અર્પણ કરી હતી.

Update: 2023-06-30 14:17 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની રનાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંકેત ભોજકની જીલ્લા ફેરબદલી થતાં સમસ્ત રનાડા ગ્રામજનોએ લોકફાળો એકત્ર કરી ભવ્ય વિદાય સમારંભ ગોઠવ્યો હતો. સૌ પ્રથમ સરસ્વતી માતાને દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 12 વર્ષથી રનાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને ગામલોકો સાથે સ્નેહ સભર સબંધ બંધાયા હતા.

તેમજ શિક્ષકે પણ તેમની કર્તવ્ય નિષ્ઠા નિભાવી હોય ગામલોકોમાં શિક્ષક પ્રિય બન્યા હતા, ત્યારે તેમના વિદાય પ્રસંગને યાદગાર બનાવવા ગામલોકોએ લોક ફાળો એકત્રીત કરી તેમનો ભવ્ય વિદાય સમારંભ રાખ્યો હતો. જેમાં સમસ્ત ગામનું તથા આવેલા મહેમાનો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનોએ પણ શિક્ષક સંકેત ભોજકની કર્તવ્યનિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સમર્પણ ભાવને યાદ કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.

શાળા પરિવારે પણ શિક્ષકને સ્મૃતિભેટ આપી હતી. તો ગામના ક્રિકેટ રસિક યુવાનોએ પણ શિક્ષકને બેટની ભેટ અર્પણ કરી હતી. શિક્ષક સંકેત ભોજકે પણ સાલ ઓઢાડી ગામલોકો તેમજ સાથી શિક્ષકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ અલ્પેશસિંહ, શાળા કમિટીના સભ્યો, આમોદ તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકના વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓ, ગામલોકો તેમજ વિદાય થઈ રહેલા શિક્ષક ભાવુક થયા હતા.

Tags:    

Similar News