ભરૂચ : પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોને નાણાં પરત આપવાની ઓલ ઈન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની માંગ...
ભારત સરકાર પાસેથી પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીઝે માન્યતા લીધા બાદ વર્ષ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી.
ઓલ ઈન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારોને નાણાં પરત આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજી ભરૂચ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભારત સરકાર પાસેથી પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીઝે માન્યતા લીધા બાદ વર્ષ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી. તે જ ક્રમમાં વર્ષ 1996થી PACL લિ. રિયલ એસ્ટેટ જમીનની ખરીદી અને વેચાણના નામથી બિઝનેસ કરતી હતી. જેના નામ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી અને તા. 22 ઓગસ્ટ, 2014ના રોજ તેના પર પ્રતિબંધ મુકી તમામ મિલકતો જપ્ત કરી હતી. જેના કારણે રોકાણકારોના નાણાં સલવાઈ ગયા હતા. જે સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડ રોકાણકારોના રૂ. 49,100 કરોડ રૂપિયા થાય છે. ગુજરાત રાજ્યના આશરે 3.5 લાખ રોકાણકારોના રૂ. 8,500 કરોડ અને જિલ્લાના 100 લાખ રોકાણકારોનો સમાવેશ થાય છે. કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં મામલો હજી પણ પેન્ડિંગ છે. ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન AISOએ PACLના રોકાણકારો દ્વારા રચાયેલ રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે, જેણે તેમની મૂડી પરત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને, 2 ફેબ્રુઆરીમાં 2016, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર.એમ.લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે રોકાણકારોએ તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવો કર્યા છે અને મેમોરેન્ડમ સુપરત કર્યા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી, ત્યારે AII ઈન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારોને તાત્કાલિક નાણાં પરત ચૂકવણી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં રોકાણકારોએ ભરૂચ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.