ભરૂચ : રૂ. 3.65 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરાશે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગોનું રૂ. 3 કરોડ 65 લાખથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં વરસાદના કારણે મુખ્ય માર્ગોને ક્ષતિ પહોંચી હતી. જેમાં નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક સહિતની કામગીરીઓ કરીને વાહન ચાલકો અને શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા રેલવે સ્ટેશન સર્કલથી પાંચબત્તી, નગરપાલિકાથી શક્તિનાથ ગરનાળા સુધીના રોડનું નવીનીકરણ કરવામાં આવનાર છે. સાથે સાથે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સર્કલ સુધી 45 લાઇટ પોલ, એલિડી લાઈટો, ડિવાઈડર, રોડ વચ્ચેની ગ્રીલ અને કલર કામ સહિતના કામો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 3.65 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અજય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, નગરસેવક નીનાબા યાદવ, હેમુ પટેલ, સુરભી તમાકુવાલા, નરેશ સુથારવાલા સહિતના નગરસેવકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.