ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા યોજાશે ત્રિદિવસીય જ્ઞાનોત્સવ, વિદ્યાર્થીઓ 380 જેટલા પ્રોજેક્ટ રજૂ કરાશે…

નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ

Update: 2023-01-03 11:15 GMT

ભરૂચ શહેર સૌપ્રથમ વખત ત્રિદિવસીય પ્રોજેકટ-એકજીબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવનું નારાયણ વિદ્યાલય શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આગામી તા. ૦૫-૦૬-૦૭ જાન્યુઆરીના રોજ યોજાનાર આ મેગા પ્રદર્શનમાં ૩૮૦ જેટલા પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

ભરૂચની નારાયણ વિદ્યાલય શાળા ખાતે જ્ઞાનોત્સવ કાર્યક્રમના ભાગરૂપે પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં શાળાના ડાયરેકટર ડો. ભગુ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, વિદ્યાની વહેંચણી અને વિચારોનું વાવેતર એટલે જ્ઞાનોત્સવ કાર્યક્રમ. માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા કે ક્રાફટ અને કલાના જ પ્રોજેકટ નહીં પરંતુ માનવજીવનને સ્પર્શતા વિષયો પર વિવિધ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષામાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ કઈ રીતે લાવવા, બાળ માનસનું ઘડતર કેવી રીતે કરવું, વિદ્યાર્થીઓની ખૂબીઓને કેવી રીતે ઓળખવી, અક્ષર સુધારણા, ટ્રાફિક અંગે જનજાગૃતિ, સ્વચ્છતા અભિયાન સહિત સમાજ જીવનને સ્પર્શતા વિષયો પર પણ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ બહાર આવશે.

આ પ્રોજેકટ જોવા માટે આવતા વિદ્યાર્થી, વાલી, શિક્ષકો અને આમ જનતાને પણ વિશેષ જાણકારી મળશે. આ પ્રદર્શન માટે ૨૦૦ જેટલા નિર્ણાયકો સેવા આપશે, જ્યારે ૨૦૦થી વધુ વિશેષ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા પધારશે. ભરૂચ શહેર અને આસપાસના વિસ્તાર સહિત જિલ્લાભરની શાળાઓને જ્ઞાનોત્સવનો લાભ લેવા અને ખાસ પ્રદર્શનની મુલાકાત લેવા શાળાના ડાયરેક્ટરે અપીલ કરી હતી.

Tags:    

Similar News