ભાવનગર : “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ ૬૫,૪૨૨ લાભાર્થીઓને અન્ન સલામતી યોજનાનો મળશે લાભ

Update: 2021-01-20 14:26 GMT

ભાવનગર જિલ્લાના તળાજા એ.પી.એમ.સી ખાતે સાંસદ ભારતી શિયાળની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદસભ્ય ભારતી શિયાળે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ્દ હસ્તે જુનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું. જેમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં ૫૦ લાખ પરિવારોને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૬૫,૪૨૨ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ લાભાર્થીઓ,વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનો અને અન્ય લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગરીબી રેખાથી નીચે આવતા અને એન.એફ.એસ.એ.ના કાર્ડધારકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરકાર દરેક વ્યક્તિને લક્ષમાં રાખીને કામ કરે છે. સરકારે અનેકવિધ કાયદામાં સુધારા કરીને અનેક પરિવારોનો ઉદ્ધાર કર્યો છે. સરકારનો ઉદ્દેશ ગરીબ માનવી સમક્ષ બની રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબોને મળે તે માટે તે ભગીરથ કામો સરકારે કર્યા છે. જિલ્લાના કલેકટર અને તેમની ટીમે વિધવા બહેનોનોને ઘરે-ઘરે જઈ લાભ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે.

આ પ્રસંગે સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સરકારે “વન રેશન, વન નેશન” નો કાયદો લાવીને અનેક રાજ્યોમાં રહેતા પરપ્રાંતિયોને પણ અનાજ પૂરું પાડ્યું હતું અને મહામારીમાં કોઈ ભૂખ્યું ન રહે તેની ચિંતા કરી હતી અને સાત માસ સુધી મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રામ્ય સ્તરે પંચાયતોમાં ૨૪ જેટલી યોજનાઓને ઓનલાઇન કરી યોજનાની લાભ લેવાની સુલભતા કરી આપી છે. આગામી સમયમાં પણ ઉપરોક્ત તમામ કેટેગરીમાં સ્ક્રીનીંગની કાર્યવાહી શરૂ રહેશે તેમજ નવા લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરના અટલબિહારી વાજપેયી હોલ તેમજ વલ્લભીપુર ખાતે પણ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી તળાજા, મામલતદાર તળાજા, ભાવનગર ખાતે પૂર્વ મેયર મનહર મોરી, જિલ્લા પુરવઠા અધિકારી ભુમિકા વાટલીયા, મામલતદાર ભાવનગર શહેર તથા વલ્લભીપુર સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News