ગુજરાત વિદ્યાપીઠની 101 મી વર્ષગાંઠ, ગાંધીજીના પ્રપૌત્ર વિડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન

Update: 2020-10-18 06:34 GMT

1920માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા પ્રસ્થાપિત ગુજરાત વિદ્યાપીઠને આજે 100 વર્ષ પૂરા થશે. વિદ્યાપીઠની 101મી વર્ષગાંઠની ઉજવણી સંદર્ભે વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીજીના પ્રપૌત્ર અને રાજનીતિજ્ઞ ગોપાલકૃષ્ણ ગાંધી વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે.

ગૂજરાત વિદ્યાપીઠને આજે એટ્લે કે, 18 ઓક્ટોબરે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાપીઠનો ધ્વજ ફરકાવવામાં આવશે. અને ત્યારબાદ વિદ્યાપીઠના પટાંગણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલપતિના ભાષણ, ગાંધીવિચાર, ગ્રામ્ય જીવન, સર્વ ધર્મ સમભાવ, ટેક્નોલોજી અને ગાંધીજીના પરિવાર સાથે પત્રવ્યવહાર જેવા વિષયો પર વ્યાખ્યાન રજૂ કરવામાં આવશે. આ ઓનલાઈન વ્યાખ્યાન મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને રાજનીતિજ્ઞ ગોપાલકૃષ્ણ ગાંધી આપશે.

તદુપરાંત ગાંધીજીના જીવન સંબંધિત 8 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. આ સિવાય ગાંધીજી દ્વારા અને ગાંધીજી પર લખાયેલા પુસ્તકોનુ પ્રદર્શન પણ કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠમાં આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકો યુટ્યૂબ પર જોઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 18 ઓકટોબરના રોજ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પદવીદાન સમારોહ મોકૂફ રખાયો છે.

Tags:    

Similar News