રાજ્યમાં વ્યાજખોરો સામે ૮૪૭ એફઆઇઆર,૧૦૩૯ આરોપીઓની ધરપકડ

રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી.

Update: 2023-02-03 06:37 GMT

રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગેની સામાન્ય નાગરિકો ની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા તા.૦૫ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે કુલ ૮૪૭ એફ.આઇ.આર દાખલ કરી ૧૪૮૧ આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે.

તો આ મામલે ૧૦૩૯ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે ૨૭ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ ૨૩૮૯ લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ ૧૪,૬૧૯ પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ ૧,૨૯,૪૮૮ વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશનરો, રેન્જ આઇ જી પી, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્વારા લોક દરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત આપી તેમજ લોકદરબાર સ્થળ ઉપર વ્યાજખોરો થી પીડિત લોકોની અરજીઓ/રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયા નું ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલ મિલકત પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઉઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધિરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારને વ્યાજખોરોના ત્રાસ માંથી મુક્ત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Tags:    

Similar News