કચ્છ : હવે પોસ્ટ ઓફિસમાંથી મળશે "ગંગાજળ", શ્રાવણ માસને ધ્યાનમાં રાખી શરૂ કરાયું ગંગાજળનું વેચાણ

શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક વિધિ માટે ગંગાજળ આવશ્યક, લોકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસમાં ગંગાજળનું વેચાણ શરૂ.

Update: 2021-08-04 13:05 GMT

આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન લોકોને ધાર્મિક વિધિ માટે ગંગાજળ સરળતાથી મળી રહે તે હેતુથી પોસ્ટ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસ ખાતે ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમ, ગણેશોત્સવ સહિત નવરાત્રિ અને દિવાળી જેવા અનેકવિધ તહેવાર દરમ્યાન લોકો પૂજા-પાઠ સહિતના ધાર્મિક કાર્યો કરતા હોય છે. જેમાં લોકોને પવિત્ર ગંગાજળની જરૂરિયાત રહેતી હોય છે. ધાર્મિક વિધિ માટે ગંગાજળ સરળતાથી મળી રહે તે હેતુથી પોસ્ટ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી ગંગાજળનું વેચાણ બંધ હતું. પરંતુ હવે હેડ પોસ્ટ ઓફિસમાં ગંગાજળનો પુરતો સ્ટોક ઉપલબ્ધ થઈ રહ્યો છે, ત્યારે તાલુકા તેમજ ગ્રામ્ય લેવલની દરેક પોસ્ટ ઓફિસમાં પણ ગંગાજળનો સ્ટોક પહોંચતો કરાયો છે. આ ગંગાજળની બોટલની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી છે. પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જિલ્લામાં 133 ગંગાજળની બોટલોનું વેંચાણ કરવામાં આવ્યું છે. તો સાથે જ ભુજની હેડ ઓફિસ ખાતેથી પણ 59 જેટલી ગંગાજળની બોટલોનુ વેંચાણ થયું છે. જેથી કહી શકાય કે, ગંગાજળના વેચાણ અંગે અહીંના સ્થાનિકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

Tags:    

Similar News