રાજ્ય સરકાર 18 માર્ચથી ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરશે, 437 કેન્દ્રો નક્કી કરાયા

ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે.

Update: 2024-03-15 14:49 GMT

ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને રૂ. 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 7000 પ્રતિ ક્વિ. (રૂ. 1400 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિ. (રૂ. 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિ. (રૂ. 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે

રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.

Tags:    

Similar News