ભારતમાં ત્રીજી લહેરની શરૂઆત ! 24 ક્લાકમાં 43 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત
દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 43,159 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન 38,525 લોકો સાજા થયા અને 640 દર્દીનાં મોત પણ થયાં. કેરળ સતત ચિંતામાં વધારો કરી રહેલું રાજ્ય છે. ત્યાં બુધવારે 22,056 લોકો સંક્રમિત નોંધવામાં આવ્યા હતા, જે દેશના કુલ નવા સંક્રમિતોના અડધાથી વધુ છે.
કોરોનાના વધતા કેસોને જોતાં કેન્દ્ર સરકારે કેરળમાં એક્સપર્ટ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના નિર્દેશકની અધ્યક્ષતામાં 6 સભ્યની ટીમ કેરળ મોકલી રહી છે. આ ટીમ કોરોનાને નિયંત્રિત કરવા રાજ્ય સરકારને મદદ કરશે. કેરળ સરકારે વધતા કેસોને જોતાં 31 જુલાઇ અને 1 ઓગસ્ટે લોકડાઉનની ઘોષણા કરી છે.
દેશમાં કોરોના મહામારી આંકડામાં
- છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 43,159
- છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 38,525
- છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 640
- અત્યારસુધીમાં કુલ કેસ: 3.15 કરોડ
- અત્યારસુધી સાજા થયા: 3.06 કરોડ
- અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 4.22 લાખ
- હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.97 લાખ