રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે જે પૈકી કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સરકારને શરતો સહ રાજીનામું ધરી દીધું છે.
આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી જેને લઈને ગુજરાતના રાજકારણમાં જંગ જામ્યો છે. ભાજપે ત્રીજા ઉમેદવારની જાહેરાત કરી કોંગ્રેસમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી કાઢી હતી. જે સફળ પણ નીવડી રહી છે. અને કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામાં પણ આપી દીધા છે. જેની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી. આ ચાર પૈકી એક ક્ચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા પણ સામેલ છે. રાજીનામાં માટે તેમને ભાજપ તરફથી 35 કરોડ અને જીએમડીસી ચેરમેનનું પદ આપ્યું હોવાની અટકળો વહેતી થઈ હતી.
આ અનેક અટકળો વચ્ચે સંતાકુકડી રમ્યા બાદ ધારાસભ્ય મીડિયા સામે આવ્યા હતા અને 35 કરોડનો સોદો અને જીએમડીસી ચેરમેનની વહેતી અટકળોને ખોટી ગણાવી હતી. તેમણે પોતાના મતવિસ્તારના પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ આવતો ન હતો જેની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉકેલની ખાતરી આપતા રાજીનામું આપ્યું હોવાની વાત ઉચ્ચારી હતી અને કોઈ પણ સ્વાર્થ વિના પ્રજાના કામો માટે રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો હતો.