વડોદરા : નાગરવાડાના 45 દર્દીઓ એક સાથે થયા સાજા, હોસ્પિટલમાંથી કરાયા ડીસ્ચાર્જ
વડોદરામાં કોરોના વાયરસના હોટસ્પોટ બનેલા નાગરવાડા વિસ્તારના 45 દર્દીઓ એક સાથે સાજા થઇ ગયાં છે. આ તમામનો બે વખતનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પોતાના ઘરોએ પાછા ફરેલા દર્દીઓનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાંથી કોરોના વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. આ વિસ્તારને કવોરોન્ટાઇન કરી તંત્રએ ટેસ્ટની સંખ્યા વધારતાં કોરોના પોઝીટીવના અનેક દર્દીઓ મળી આવ્યાં હતાં. હાલ નાગરવાડા તથા તાંદલજા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. નાગરવાડા વિસ્તારમાંથી મળેલા 45 જેટલા દર્દીઓને ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ રખાયાં હતાં. આ તમામ દર્દીઓનો બે વખતનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
એક સાથે 45 દર્દીઓ સાજા થયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. દર્દીઓને સલામતી સાથે તેમના વિસ્તાર નાગરવાડામાં લઇ જવાયા હતાં. જયાં તેમનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં આ દર્દીઓ પ્લાઝમા ડોનર બની કોરોના વાયરસથી પીડાતા અન્ય દર્દીઓની સારવારમાં મદદરૂપ બને તે માટે તેમને સમજ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પણ 206 જેટલા કેસ નોંધાય ચુકયાં હોવાથી વડોદરામાં પણ કોરોના વાયરસે ડબલ સેન્ચ્યુરી ફટકારી દીધી છે.