ભાવનગર-અમદાવાદ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં સરતાનપુર ગામના જ ૧૯ લોકોનાં મોત થયા હતા. આ તમામ મૃતકોના ગામના એક મંદિરના પ્રાંગણમાં સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોસ્ટ મોર્ટમ બાદ જ્યારે તમામ મૃતકોને ગામમાં લાવવામાં આવ્યા હતા ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આખા ગામના લોકો તમામ કામ છોડીને અંતિમ સંસ્કાર વિધિમાં જોડાયા હતા. વાતાવરણ એટલું ગમગીન બની ગયું હતું કે કોઈ કોઈને સાંત્વના આપી શકે તેવી સ્થિતમાં ન હતું. પોતાના સ્વજનો ગુમાવ્યાના દુઃખમાં પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા. ગામમાં અનેક ઘર એવા છે જેમાં પરિવારના મોભીનું મોત થયું છે અને પરિવારમાં હવે માત્ર બાળકો બચ્યા છે.
બાવળીયારી અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયેલ ટ્રક ડ્રાઈવરને ધોલેરાના પીએસઆઈ એસ. એમ. જાડેજાએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ધોલેરા પોલીસ ટીમે ટ્રક ડ્રાઈવર માધા ડાહ્યા રાતીકાને રાજુલા નજીકથી ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.