• અંકલેશ્વરમાં પાણીની લાઇનમાં સર્જાયું હતુ ભંગાણ

  • નોટીફાઇડ એરિયાની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું

  • યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરાયુ

  • આજથી ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો શરૂ કરાયો

  • 4 સ્થળોએ ભંગાણ સર્જાતા વોટર સપ્લાય અટક્યો હતો

અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં 4 સ્થળોએ ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. નોટીફાઇડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતું.મોડી રાત સુધી સમારકામ કરવામાં આવતા હવે અંકલેશ્વર જીઆઇડીસીના 500થી વધુ ઉદ્યોગો અને રહેણાક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હીંમત સેલડીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નોટીફાઇડ એરિયાની 50 વર્ષ જૂની લાઈનમાં 4 સ્થળોએ ભંગાણ સર્જાયુ હતું જેનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આજથી ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં રાબેતા મુજબ પાણી મળતું થઈ જશે.